મને એ જોઇને હસવું હજારો વાર આવે છે, કે પ્રભુ તારા બનાવેલા આજે તને જ બનાવે છે..!!
ખુબ જ વ્યસ્તતા હોવા છતાં પણ લખવા મજબુર કરી દે એવો થયેલો એક અનુભવ; એક નહિ, થયેલા અનેક અનુભવો…!!! વાત મારી કલમની હોય એટલે આંગળી ભગવાન પર પહેલા ઉઠે પણ આજે મને કહેવાતા ઈશ્વર પર પણ દયા આવી ગઈ..!! એકબાજુ મહાભારત અને રામાયણ કે પછી ભગવદ ગીતા જેવા સમૃદ્ધ વાંચનલાયક તેમજ જીવનમાં ઉતારવા લાયક સિદ્ધાંતો આપતા પુસ્તકો ધરાવતો ધર્મ જયારે બીજી બાજુ હવસ, હેવાનિયત, જેવા અનેક દુર્ગુણોવાળા લોકોથી ભરેલો એ જ ધર્મ.
કહેવાય છે કે નવરાત્રી એટલે માતાજીના નવ જુદા જુદા અવતારોનો ધર્મ, દરેક અવતાર કંઈક શીખવે છે. ગણેશ ચતુર્થી એટલે દુર્ગુણોનું વિસર્જન કરવાનો પર્વ. પણ આ બધું કહેવા પુરતું બની ગયું છે. વાસ્તવમાં તો ગણપતિ ના વિસર્જન સાથે દુર્ગુણો ને જન્મ અપાય છે. મારી નજરે જોયેલો અને તમામ લોકો એ અનુભવેલી આ વાત છે પણ તો પણ બાહ્યાડંબરના ભાગ રૂપે ઘણા આનો વિરોધ કરશે. સાચું કહુ તો બહુ ઓછા એવા લોકો હશે જે ગણેશ ચતુર્થી શ્રદ્ધા થી ઉજવાતા હશે અને બાકીના ૯૦% લોકો ફક્ત DJ માં નાચવા, દારુ પીને છાકટા થવા અને આખી રાત જુગાર રમવા માટે જ આ તહેવાર મનાવતા હોય છે. પોલીસતંત્ર વળી કટકી કરવાના મોકા માટે રાહ જોતી હોય એ સ્વાભાવિક વાત છે.
પછી થોડા દિવસ પછી આવે નવરાત્રી. નવરાત્રી એટલે યુવા વર્ગ માટે વાસના અને હવસ સંતોષવાનો પર્વ. પેટ્રોલના ધુમાડા અને નફટાય કરી છોકરીઓને હેરાન કરવાનો તહેવાર. વળી બીજી બાજુ છોકરી પણ દુધની ધોયેલી નથી. પીઠ અડધી ખુલી રાખી ટેટુ લગાડતી છોકરીઓ કે પછી એને ઘૂરી ઘુરીને જોતા છોકરાઓ બંનેમાં દેખાય છે એક જ વસ્તુ, “સંસ્કારોની નાગાઈ”.
છેલ્લા ૩ વરસથી હું નિહાળી રહ્યો છું એ વાત આજે કહીશ. પ્રથમ અને બીજા નોરતે સારાઈ બતાવી મિત્રતા કેળવવાની, પછીના દિવસોમાં એને ગાઢ બનાવવાની અને અંતીમ બે ત્રણ દિવસોમાં એકબીજાની જરૂરિયાતો સંતોષી કોઈ વિના કારણ કારણ ઉભું કરી છુટું પડી જવાનું. પહેલા દિવસે જે ગલીએ ખૂણામાં ઉભા રહી નજીકની પળો માણી હોય એ જ જગ્યા એ અફસોસના આંસુ સાથે રડવાનું. મારા ઘર અને ઓફીસ વચ્ચે ૩ ગલી આવે છે. વ્યસ્તતાના કારણે રોજ એકાદ વાગે ઘરે જાઉં ત્યારે બે થી ત્રણ આવા કપલો મળી જ જાય જે માં બાપના વિશ્વાસને ઘોળીને પીતા હોય અને એ પણ એવા સાથે જેને ૨ કલાક પહેલા ઓળખતા પણ નહોય. ક્યાં ગામડાની ગરબી અને ક્યાં શહેરના હાઈ ફાઈ ગરબા. રમનારાઓ ને આવો લાભ અને યોજવાવાળાઓને આર્થિક લાભ.
એક આવા જ અનુભવનો ભોગ બનેલી એક સ્ત્રી ની વાત કહું તો એ સ્ત્રી સાથે આવું જ થયેલું. ‘સ્ત્રી’ કહેવું કે ‘છોકરી’ એ તો મને પણ નથી સમજાતું. આઠ દિવસમાં બંને એ સહવાસ પણ માની લીધો. એ વખતે છોકરીની ઉમર હતી ૧૬ વર્ષ. આજે એ છોકરી ૨૦ વર્ષની છે અને એને ૩ વર્ષની એક પુત્રી છે. એ નવ દિવસની ભૂલ એ છોકરી એ તો સિફતથી સ્વીકારી છે પણ છોકરાનો કોઈ પત્તો નથી. આ એક આવો કેસ નથી. એક અહેવાલ પ્રમાણે આ નવ દિવસ દરમ્યાન ગર્ભ નિરોધક દવાઓ અને નિરોધ જેવી વસ્તુઓ ના વેચાણમાં ૧૧૭ ગણો ઉછાળો જોવા મળે છે. અહિયાં વાત અટકતી નથી, ડોકટરો ને પણ પોતાની વરસની કમાણી ૩-૪ ઓપરેશન કરવામાં મળી જાય છે. ક્યાં ઓપરેશન એ મારે સ્પષ્ટ કહેવાની જરૂર જણાતી નથી.
આવા અનુભવોને બહુ સાચા શબ્દો આપતી રાહત ઇન્દોરીની બે લીટીનો એક શેર જરૂર કહીશ,
लोग हर मोड़ पर रुक रुक के चलते क्यों हैं ? इतना डरते हैं तो घर से निकलते क्यों हैं ??
मोड़ होता हैं जवानी का संभलने के लिए, और सब लोग यहीं आके फिसलते क्यों हैं..!!!
મને લાગે છે એ પ્રમાણે હિંદુ ધર્મના પ્રખર લોકો આ લેખ પર વિરોધ વ્યક્ત કરશે કેમકે મારા શબ્દો આક્રમક છે પણ એમાં એ લોકોની જ પોકળતા વાગી રહી છે. મને લાગે છે ત્યાં સુધી ગુજરાતમાં હવે સંસ્કારોના અંતિમ સંસ્કાર શરુ થઇ ગયા છે. એક હિન્દુનો એવો બચ્ચો ના જોયો કે જે નવરાત્રી માનવાવા કરતા વડોદરા શહેરમાં ચાલી રહેલા કોમી રમખાણો અટકાવવા આગળ આવે. જઈને એક મુસલમાન સાથે મૈત્રી માટે હાથ મિલાવે. દરરોજ મંદિરે જવું, વડીલોને પગે લાગવું, જુદા જુદા ઉપવાસ કરવા, એ બધા સંસ્કારી હોવાના લક્ષણો મનાય છે ત્યાં સુધી આવું જ ચાલતું રહેવાનું. સવારે દૂધ થી મહાદેવ ને નવડાવો અને રાત્રે નશામાં પોતે નાવ અને પત્ની ને મારો. આવા ‘સંસ્કારી’ પતિને પત્ની છોડે તો એનું સમાજમાં કઈ મુલ્ય જ નહિ. કોઈ માં નો બચ્ચો નથી જે એને મદદ કરવા આગળ આવે.
પોતાની પાસે ધર્મના વિદ્વાનો હોવાનું કહેતો સમુદાય, બહુ સારા સારા કામો કરતો હોવાનો ચિતાર આપતો સમુદાય પણ કોમી છમકલાઓમાં મૈત્રીપૂર્ણ સંબંધો જળવાય એવી કોશિષ કરવા આગળ આવતો નથી. એ વિદ્વાનોની વિદ્વાનતા ક્યાં અલોપ થઇ જાય છે એની કોઈને ખબર નથી.!! જો કોઈ માયા ના હોય અને ત્યાગની જ ભાવના હોય તો કેમ આગળ આવી સુલેહ નથી કરાવતા..?? કેમકે જ્યાં સુધી લોકો આમ એકબીજા સાથે લડે છે ત્યાં સુધી જ તેમની દુકાન ચાલવાની, જે દિવસે ધર્મો એક થઇ જશે તે દિવસે આ બધાનો સુરજ આથમી જવાનો. એટલે એ લોકો બે ધર્મને એક કરી દે તો પોતાના પગ પર જ કુહાડી મારી કહેવાય…!!!
મને સમજાતું નથી કે આ બધું શું ચાલી રહ્યું છે. આ બધાનો અંત ક્યારે આવશે.!!! ક્યારે માણસ પોતાની અંદર રહેલી શક્તિઓને પોતે જગાડશે. એ ક્યારે પોતાના સંસ્કારો, પોતાની જવાબદારીઓ, પોતાના હક્ક અને ફરજો પ્રત્યે સભાન બનશે.?? ક્યારે ધર્મો નો નાશ થશે અને સંસ્કારો નું સિંચન થશે ?? આબરૂના ધજાગરા કરતા યુવાનો (છોકરાઓ અને છોકરીઓ) ક્યારે દેશ માટે આગળ આવશે.?? આ દેશ પાંગળો છે કેમકે ૫૮.૫૦ % (૬૫% ના ૯૦%) લોકો દિશાહીન, હવસખોર અને પાંગળા છે. જેટલી તૈયારી નવરાત્રીની ખરીદી કરવામાં કરતા હોય છે એટલી તૈયારી જો પોતાના કરિયર પર કરે તો આજે એની લાઈફ અને આપણો દેશ ક્યાય આગળ આવી જાય.!! પણ જ્યાં સુધી આપણા દેશમાં ધર્મગુરુઓ નું રાજ ચાલે છે ત્યાં સુધી કઈ થવાનું નથી. કેમકે આ લોકો જ દેશને કોરી ખાય રહ્યા છે, યુવાનો ને ગેરમાર્ગે દોરી રહ્યા છે. મારી તો યુવાઓ ને એટલી જ વિનંતી છે જે આવા સંબંધો બાંધવામાં પડશો નહિ. બીજાની જીંદગી બગાડી કઈ મેળવી શકાતું નથી. અને ખાસ વિનંતી કે દુરના ગરબામાં જવા કરતા જો તમને શોખ હોય જ તો સોસાયટીના ગરબામાં પણ રમી શકાય. એના માટે મેદાનો પર જવાની જરૂર જ નથી. મા-બાપ પણ આ વાત ધ્યાનમાં રાખી પોતાના બાળકોને પોતાની જ સોસાયટીમાં ગરબા રમવાનું કહે. તો જ સાચા ભક્તો / સંસ્કારો બહાર આવશે અને અન્ય શોખ / તૃષ્ણાઓ વાળા ઘરમાં બેસી જ નવરાત્રી ઉજવશે. બાકી અત્યારે જોતા તો એવું લાગે છે કે સંસ્કારોની અંતિમ ક્રિયા શરુ થઇ ગઈ છે.
મહાભારતમાં તો એક જ ભીષ્મ પિતામહ હતો જે દ્રૌપદીના વસ્ત્રાહરણ વખતે પણ કઈ બોલી શક્યો નહોતો. પરંતુ આજે તો દરેક ઘરમાં ભીષ્મપિતામહ વસવા માંડ્યા છે જે આંખ આડા કાન કરી રહ્યા છે. એને જાગવાની જરુર છે. હું તો સહન નથી કરી શકતો એટલે આવા તહેવારો આવી રીતે ઉજવતો પણ નથી અને લોકોને પણ સાચો રસ્તો બતાવા આવું લખતો રહું છું. જે હિન્દુત્વવાદી એ મેં લખેલા લેખના શબ્દો પર જઈ મારા ઘર પર પથ્થરમારો કરવો હોય તો તેને છૂટ છે. હું એનો સ્વીકાર કરીશ. કેમકે એ લોકો જ તો ધર્મને સાચવીને બેઠા છે અને આવા સમયે અમારા અર ફેકે પણ છે. બાકી અમે તો ગાળો જ આપી શકીએ કોઈ પણ ધર્મને…!!!!!!!!!
હિતાર્થ ઢેબર