દિવસો હણાઇ ગયા છે એના ગયા પછી, રાત લાંબી થાય છે એના ગયા પછી,
શબ્દોને શું કરું ફના થઇ જવાનો દેહ, આંખો દ્રવી પડે છે હવે એના ગયા પછી,
ઝંખના હતી વરસોથી ફળી નહીં કદી, ફળવાનાં સ્વપ્ન તૂટી ગયા એના ગયા પછી,
કોરાણે મૂકું આંસુને એ શક્ય છે નહીં, આંસુ ખરે છે આંખથી એના ગયા પછી,
– વિના બામણિયા
વર્ષ ૨૦૧૧નું એક દ્રશ્ય,
એક પરિવાર નવા ઘરમાં પગ મુક્યા ની ખુશી મનાવતો હતો. કેક કાપવામાં આવી. ફટાકડાઓ ફોડ્યા. એક નાનો પરિવાર જેમાં એક પતિ, એક પત્ની, એક પુત્ર અને એક પુત્રીનો બનેલો છે. આ પરિવાર પાસે હસવાના ઘણા જ બહાનાઓ હતા. સોરી, બહાના નહિ, કારણો હતા. દરેક તહેવારો ધામધૂમથી મનાવતા. એકબીજા માટેનો પ્રેમ વધી રહ્યો હતો અને પુરબહારમાં ખીલેલો હતો.
વર્ષ ૨૦૧૩નું બીજું એક દ્રશ્ય,
એક પરિવાર કે જે હવે પરિવાર નથી રહ્યો. આ પરિવારના દિવસની શરૂઆત આંસુઓથી થાય છે અને પછી અંત આવી જાય છે. ખબર નથી કે આવતી કાલનો દિવસ કેવો જશે.!! ઘરમાં પતિ હવે છે નહિ એટલે કમાવાવાળું કોઈ સદસ્ય રહ્યું નથી. બે બાળકને સ્કુલ મોકલવા તો શું જમાડવાના પણ રૂપિયા નથી. માતાની આંખોમાંથી આંસુ ટપકતા બંધ નથી થતા અને બાળકો ની આંખો લાચાર નિરાધારપણું વરસાવી રહી છે.
કે જેમ શરદ ઠાકરએ “ડોકટરની ડાયરી” પોતાના પ્રેક્ટીસના અંગત અનુભવો પરથી લખી. એ રસ્તે હવે મને પણ નવા નવા અનુભવો થઈ રહ્યા છે. શરદ ઠાકર જેવું લખવાનું તો મારું ગજું નથી પણ આ એક અનુભવ અવશ્ય લખવો પડે એવો રહ્યો. વાત જાણે એમ છે ઉપર જણાવેલા બંને દ્રશ્યો એક જ પરિવારના છે. વાત એમ બની કે આ પરિવારે એવા ઘરમાં રહેતો હતો જે ગીરવે મુકેલું હતું. ભાઈએ પોતાની બહેન ના લગ્ન માટે ઘર ગીરવે મૂકી બેન્કમાંથી લોન લીધેલી. ઘર સંપૂર્ણ બન્યું ના હતું પણ રહેવા લાયક હતું એટલે પરિવાર ત્યાં રહેતો હતો પણ હજુ ઘણું કામ બાકી હતું. પરિવાર ખુશીથી રહી રહ્યો હતો.
એવામાં એક દિવસ અચાનક ઘર બનાવનાર બિલ્ડરે દગો કરી બધા રૂપિયા લઇ લીધા અને નાસી ગયો. આ આઘાત ઘરના મોભથી ના જીરવાયો અને એકમાત્ર કમાવાનાર હૃદય હુમલાનો ભોગ બન્યો. બે મહિનામાં કેટલું બદલાય ગયુ. જે બે વર્ષમાં લોનનો એક હપ્તો એક દિવસ પણ મોડો નહોતો ભરાયો એ લોનમાં હવે બે હપ્તા બાકી બોલે છે. આ લખું છું ત્યાં કદાચ ત્રીજો હપ્તો પણ બાકી રહી ગયો હશે. ગઈકાલનો સુર્યાસ્ત જાણે કાયમ માટે અંધકારની ભેટ આપી ગયો. અને આ ભેટ કોને આપી ??? ક્યાં ગયો એ ભગવાન કે જેને સારા પરિણામોનો શ્રેય મળતો રહે છે ? કેમ ચુપ થઈને બેઠો છે ? પત્ની આઠમું ધોરણ પાસ છે એટલે નોકરી આપવા તૈયાર નથી. લોનનો એક મહિનાનો હપ્તો ૫૦૦૦/- છે જેની સામે પરિવારની આવક ૨૦૦૦/- છે. કેટલી ખરાબ પરિસ્થિતિ.!!! હાલમાં કોઈને કોઈની મદદ લઈને ઘર ચાલવામાં આવે છે પણ આવી રીતે ચાલવાની પત્નીની ઈચ્છા નથી. કેટલી દિશાહીન ઝીંદગી…!!!શું વાંક હતો એ ૧૩ અને ૧૬ વર્ષના બે બાળકોનો કે એનું ભણતર છીનવાય જવાના આરે છે. પત્ની પર ૩,૧૧,૦૦૦/- નું દેવું છે. અને જો ભરપાય ના કરવામાં આવ્યું તો ઘર પણ ગુમાવાનો સમય આવે એવી શક્યતાઓ છે. આવકમાં હાલમાં પેન્શન ૨,૦૦૦/- પ્રતિ માસ સિવાય કાંઈ જ નથી……..
ક્યાં ગયો એ માયાળુ ? ક્યાં ગયો રહેમાન ? ક્યાં ગયો એ વાહેગુરુ ?? બધાની આંખો બંધ હતી જયારે પરિવાર સાથે આવી રમત રમાય ?? આ પરિવારના બે મહિના કેમ ગયા હશે એ વિચારીને જ મારું હૃદય તો દ્રવી ઉઠે છે. માન્યું કે માણસાઈ વેચાય રહી હતી પણ એ મુજબ તો ભગવાનની ખુદાઈ પણ આંખો બંધ કરીને આ બધું માણી જ રહી હતી ને..!!!! સવાલ સહાય નો નથી એ તો કરવાવાળા છે જ અને રસ્તો મળી જશે; એવી મારી આશા છે. પણ મારી આંગળી ઉઠે છે એના પર જે લોકોના જીવન પર આમ પ્રશ્નાર્થ મૂકી દે છે. સવાલ ઉઠે છે એના અસ્તિત્વ પર કે શું ખરેખર ઈશ્વર છે ????? મને તો ક્યારેય લાગ્યું નથી કે ઈશ્વર છે. કેમ કે જો એ હોત તો એણે આવું થવા જ ના દીધું હોત.!!!!! લખવાનું કારણ લોકોને વિચારતા કરવાનો છે. લોકોને અવગત કરવાનો છે કે સમય ગમે ત્યારે ગમે તે સવાલ પૂછી લે તો આપને ભલે જવાબ ના આપી શકીએ પણ જવાબ આપવા તૈયાર તો રહેવું જ જોઈએ.